કવિ : ઉમાશંકર જોશી. જીવન કવન

નામઃ ઉમાશંકર જોશી

ઉપનામ (તખલ્લુસ) વાસુકિ, શ્રવણ

જન્મ તારીખઃ 21 જુલાઇ 1911

જન્મ સ્થળઃ બામણા, જિ.સાબરકાંઠા

પિતાનું નામઃ જેઠાલાલ જોશી

માતાનું નામઃ નવલબેન જોશી

પત્નીનું નામઃ જ્યોત્સનાબેન 

સંતાનોઃ નંદિની અને સ્વાતિ -બે પુત્રીઓ

વ્યવસાયઃ કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક

પુરસ્કારોઃ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૯),

નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૩),

ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૬૩-૬૪-૬૫),

જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૭),સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૩

મૃત્યુઃ 19 ડીસેમ્બર 1988 (ઉંમર 77) મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત

       ઉમાશંકર જોશીનો જન્મ ૨૧ જુલાઇ ૧૯૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બામળા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન હતુ. તેમના માતા – પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમે હતા. ૧૯૩૭માં ઉમાશંકર જોશીના લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા હતા. જેનાથી તેમને નંદિની અને સ્વાતિ નામની બે પુત્રીઓ છે.

       તેમણે ચાર ધોરણ સુધીનો અભ્યાસ બામણામાં જ કર્યો. પરંતુ ત્યાં વધુ સગવડ ન હોવાથી તેઓ આગળના અભ્યાસ માટે ઇડર ગયાં. જયા તેમણે પન્નાલાલ પટેલ સાથે છાત્રાલયમાં રહીને સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા.

          ઇન્ટર આટર્સ વખતે તેમણે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છ મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો.

        તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં બી.એ. થયા અને ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતા.

        ૧૯૩૬માં ચાલુ અભ્યાસ દરમિયાન જ તેઓ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાબાદ ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યુ

       ૧૯૩૯માં અમદાવાદમાં સ્થાઇ થયા. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક તરીકે ફરજો બજાવી. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા.

       ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રોફેસર જોડાયા, જયા તેેેેમને ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં જોડાયા. તેમણે ૧૯૫૭માં જાપાન અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ કર્યો.

        ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશીએ ડુંગરિયાળ પ્રદેશની પ્રકૃતિ અને ગામડાઓનાં સામાજિક જીવન, મેળાઓ, ઉત્સવોમાંથી શબ્દસર્જનની પ્રેરણા મેળવી. મહાત્મા ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈને તેમણે ઇતિહાસના વિશાળ ફલકની સમજ કેળવી.

         વીસમી સદીના દેશના અને દુનિયાના પ્રશ્નો, સામાજિક અસમાનતાથી માંડીને અણુયુદ્ધ ના પડકારોને એક કલાકાર તરીકે ઝીલવાનો પ્રયત્ન કર્યો, વીસમી સદીમાં અનેકરૂપે પ્રગટ થયેલી હિંસાના કેન્દ્રમાં રહેલી મનુષ્ય માટેની નિસબત એ એમના સમગ્ર જીવન અને સર્જનની સામાન્ય વૈચારિક ભૂમિ રહી છે.

         સમગ્ર જીવન દરમ્યાન તેમણે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી નાટકો, નિબંધો, પ્રવાસ વર્ણનો, ચરિત્ર રેખાંકનો, વિવેચનનાં પુસ્તકો તેમજ શિક્ષણ, સમાજ, રાજકારણ, અને સમકાલીન બનાવો વિશે અસંખ્ય લેેેખો પ્રકાશિત કર્યા હતાં. લગભગ ચાર દાયકા (1947-1984) સુધી તેમણે ‘સંસ્કૃતિ’ સામયિકનું સંપાદન કર્યું હતુ.. પોતે સ્થાપેલા ગંગોત્રી ટ્રસ્ટના નેજા હેઠળ ભારતની તેમજ વિદેશી ભાષાઓની કૃતિઓના અનુવાદિત પુસ્તકો પણ પ્રકાશિત હતાં.

      એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જાહેરજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછીથી કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમીના પ્રમુખ તેમજ દેશની સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી હતી.

ઉમાશંકર જોશીને મળેલ એવોર્ડ /પુરસ્કારોઃ

૧૯૩૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક

૧૯૪૭ માં નર્મદ સુવર્ણ ચંદ્રક 

૧૯૬૩ માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત કરવામાંં આવ્યો.

૧૯૬૭માં નિશીથ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. જ્ઞાનપીઠ એવોર્ડ મેળનાર તેઓ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર બન્યા.

૧૯૭૩માં સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

૧૯૮૧માં વિશ્વ ગુર્જરીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો.

ઉમાશંકર જોશીની પ્રસિધ્ધ પંકતિઓઃ

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;

માથે ધરું ધૂળ વસુંધરાની.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગીરા ગુજરાતી”

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ.

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,

મળી માતૃભાષા મને ગૂજરાતી.

ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક હાથ,

બહુ દઈ દીધું નાથ ! જા ચોથું નથી માંગવું.

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત

ગુજરાત મોરી મોરી રે

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

world environment day
વિશ્વ પર્યાવરણ દિવસ

નિબંધ: વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાય છે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર

શિક્ષણની માહિતીની લિંક

નમસ્કાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ, હું નયના જે. સોલંકી, શિક્ષણ અને સાહિત્ય સાથે જોડાયેલા તમામ માટે એક અનોખી